આજકાલ લોકોને ગુજરાતી
ભાષામાં પરીવર્તન લાવવા માટેનું ભુત વળગ્યુ છે એટલે લોકો આંખો મીંચીને ઊંઝાની પાછળ
દોડે છે અને અન્ય લોકોને ઊંઝા જોડણીની ઊપયોગીતા અંગે "જાગૃત" કરે છે. મારે
આ ચર્ચામાં પડવાનો કોઇ જ ઇરાદો નહોતો છતાં પણ ક્યારેક મૌન સંમતિસુચક બની જતુ હોવાથી
લોકોને "જાગૃત" બનતા અટકાવવા માટે આ નાનકડો લેખ લખુ છુ.
મને આ ઊંઝા જોડણી
માટે એક સરસ મજાનું રૂપક મળ્યુ છે. કદાચ આમ જનતા વ્યવસ્થિત રીતે મારો દૃષ્ટિકોણ સમજી
શકશે. હું ઊંઝા જોડણીને આતંકવાદ સાથે સરખાવવા માગુ છુ.
આતંકવાદીઓ દેશમાં
પરીવર્તન લાવવા માંગે છે, દેશની રોનક બદલવા માંગે છે. આતંકવાદીઓ થોડાક મોટા મોટા માથાઓને
પોતાની તરફેણમાં કરીને પોતાના વિચારો વધારે ને વધારે લોકો સુધી પહોંચાડવાની કોશીશ કરે
છે. તેઓ પોતાનો અમુલ્ય સમય નવા નવા વિચારો કરવામાં અને પોતાની વિચારસરણીને કઇ રીતે લોકો પર લાદી શકાય તેમાં વ્યથિત કરે છે.
પરંતુ એ વિચારવાનો તેમને સહેજ પણ સમય નથી કે દેશની અત્યારની પરિસ્થિતિમાં તેઓ દેશને
કઇ રીતે આગળ લઇ જઇ શકે. તેઓ કહે છે કે સરકાર કંઇ કરી શકતી નથી એટલે અમારે અલગ રાજ્ય
જોઇએ અને અમે તેને નંદનવન બનાવીશું. અને પરિવર્તન દુનિયાનો નિયમ છે એટલે આપણે પરિવર્તન
લાવશું જ. અને એમાં પણ જો કોઇ આતંકવાદી "શહિદ" થાય તો તો પછી પુછવું જ રહ્યુ.
આ "શહિદ" ને પોરસાવી ને બીજા કેટલાય આતંકવાદીઓ ઊભા કરાય છે.
આજ રીતે ઊંઝા જોડણીના
સમર્થકો પણ ગુજરાતી ભાષામાં પરિવર્તન લાવવા માંગે છે. તેઓ થોડાક મોટા મોટા લેખકોને
ઊંઝા જોડણી કેટલી બધી સારી છે એ વિશે વાત કરીને પોતાની પાટલી પર બેસાડી તેમના ખભા પરથી
બંદુક ચલાવે છે. તેઓ ઊંઝા જોડણીને હજુ કઇ રીતે સારીને સારી બનાવી શકાય એમ વિચારે છે
પણ તેઓને એ વિચારવાનો સમય જ નથી મળતો કે આપણી ગુજરાતી ભાષાનો વ્યાપ કઇ રીતે વધારી શકાય
અને વધારે ને વધારે લોકોને કઇ રીતે સુલભ બને તે દિશામાં યોગ્ય પગલા લઇ શકાય. તેઓ વિચારે
છે કે જોડણીને કારણે ગુજરાતી ભાષા મૃતપ્રાય પડી છે અને જો ઊંઝા જોડણી અપનાવવામાં આવે
તો ગુજરાતી ભાષાનો ઉદ્ધાર થઇ જાય અને ગુજરાતી લેખકો અને વાચકોની સંખ્યામાં ખુબ જ વધારો
થઇ જાય. પરંતુ એ ભુલી જવાય છે કે તેઓ લોકોમાં ગુજરાતી વાંચન/લેખનનો રસ કેળવી શકશે નહી
અને જો તેઓ ગુજરાતી વાંચન/લેખનનો રસ કેળવી શકવાને સમર્થ હોય તો પછી ઊંઝા જોડણીની જરૂરત
જ રહે નહી. કારણ કે રસપુર્વક વાંચન/લેખન કરનાર વ્યક્તિ શુદ્ધ ગુજરાતી આપોઆપ જ શીખી
જાય છે.
મને તો ઊંઝા જોડણીનો
એક જ ફાયદો દેખાય છે. જો હું શુદ્ધ ગુજરાતીમાં લખતો હોઉ તો મને ડર લાગે છે કે જો જોડણીની
ભુલ પડે તો મને કોઇક કહી જાય કે તને ગુજરાતી નથી આવડતુ. પરંતુ જો હું ઊંઝા જોડણીનું
શરણું સ્વિકારુ તો પછી હું છાતી ઠોકીને ગુજરાતીમાં મન ફાવે તેમ લખી શકુ અને ઊંઝા જોડણીને
મારી શાહમૃગવૃત્તિની ઢાલ બનાવી શકુ.
બની શકે કે આ લેખમાં
જોડણીની ભુલ હોઇ શકે પરંતુ મને એની શરમ નથી આવતી કે લોકોનો ડર પણ નથી લાગતો કારણ કે હું શુદ્ધ ગુજરાતી શીખી રહ્યો
છુ.