બલી રાજા એક મોટો
રાજા હતો. જો કે તે દૈત્ય હતો પરંતુ ધર્મના માર્ગમાંથી તે કદી વિચલીત થયો નહોતો. તે
ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને તે ઘણો જ લોકપ્રિય હતો. ધર્મ સાથે હોવાને લીધે તેની
શક્તિ અને સત્તા વિસ્તરતા હતા. એક વખત તેણે ઇન્દ્ર સાથે યુધ્ધ કરવાનું નક્કી કર્યુ.
આ જાણીને ઇન્દ્રે ભગવાન વિષ્ણુને પોતાને બચાવવા આજીજી કરી. બલી વિષ્ણુનો પરમ ભક્ત હતો
અને ધર્મપ્રિય હોવા છતાં તેને સત્તા અને સંપત્તિની લાલસા હતી. વિષ્ણુએ ઇન્દ્રને અભયદાન
આપ્યુ અને પોતે અદિતિ અને કશ્યપ મહર્ષિના ઘરે જન્મ લીધો. આ વામન બલી રાજાને ત્યાં નાના
નાના પગલા ભરીને પહોંચ્યા. બલીએ તેમને નમસ્કાર કર્યા અને કહ્યુ "હે વિપ્ર! તમને
દાનમાં શું આપુ? તમને હું વસ્ત્ર, ફળ, હાથી, ગાય, ઘોડા, રથ, રત્નો, સોનુ, જમીન, કન્યા
આપવા માટે સમર્થ છું"
વામને કહ્યુ
"હે મહાનુભાવ બલી! હું તો બ્રહ્મચારી છુ. આ બધી ચીજનું હું શું કરીશ? મને તો માત્ર
ત્રણ પગલા જમીન જોઇએ છીએ." બલી રાજા તો ત્રણ પગલા જમીન આપવા તૈયાર થઇ ગયો પરંતુ
દૈત્યોના ગુરૂ શુક્રાચાર્યને શંકા પડી કે આ કોઇ સામાન્ય વિપ્ર બાળક નથી. આ તો સ્વયં
વિષ્ણુ જ છે. તેમણે બલીને કહ્યુ "હે બલી! આ કોઇ સામાન્ય બાળક નથી પરંતુ ખુદ વિષ્ણુ
જ છે. અનિવાર્ય સંજોગોમાં તમે તમારા વચન પાળી ન શકો તેમાં વાંધો નહી." છતાં પણ
બલી પોતાના વચનમાંથી ડગ્યા નહી. તેણે જવાબ આપ્યો "અરે! મારા કેવા પુણ્ય કે આજે
આખા જગતના સર્જનહારનો હાથ નીચે અને મારો હાથ ઉપર છે. સકળ સૃષ્ટિના પાલનહારને દાન દેવાનો
મોકો હુ કોઇ કાળે પણ ચુકવા માંગતો નથી, પછી ભલેને મારે મારું રાજ્ય ગુમાવવું પડે."
આ રીતે બોલીને બલીએ ત્રણ પગલા જમીન આપવાનું વચન આપ્યું. તરત જ વામનની મુર્તિ વધવા લાગી.
તેમણે એક પગલામાં
આખી પૃથ્વી માપી અને બીજા પગલામાં સ્વર્ગલોક માપ્યો. બલી પાસે ત્રીજુ પગલું ભરવા માટેની
જગ્યા જ બચી નહોતી. તેણે વામનને ત્રીજુ પગલું પોતાના શિર પર ભરવા કહયુ. વામને ત્રીજું
પગલું બલીના મસ્તક પર મુકીને તેને પાતાળલોકમાં મોકલી દીધો. આ જોઇને બ્રહ્માએ ભગવાન
વિષ્ણુને કહ્યુ "હે ભગવન! બલી રાજાએ તેમનું વચન પાળ્યુ. વળી બલી રાજા તમારો ઉત્તમ
ભક્ત છે. તો પછી આ લીલા કરવાનો આપનો હેતુ શું?" વિષ્ણુ બોલ્યા, "હે બ્રહ્મા!
જેને મારે આશિષ આપવા હોય તેની સંપત્તિ હું હરીને તેની કસોટી કરુ છુ. તેના બુદ્ધિદોષ
ટાળીને તેને મોક્ષ અર્પણ કરુ છુ."
વાર્તામાંથી મળતો
બોધ
વ્યક્તિએ પોતાને
જે કંઇ મળ્યુ છે તેનાથી સંતોષ માનવો જોઇએ.
બલી કોઇ પણ ભોગે
પોતાનું વચન નિભાવવા તત્પર હતો. ભગવાનને આ પ્રકારના લોકો ખુબ જ ગમે છે.
અતિથિ સેવાનું અહીં
મહત્વ દર્શાવેલ છે.